તાજેતરમાં ધરમપુર જવાનું થયું.ધરમપુર આમ તો એક સમયે આદિવાસી પ્રદેશ તરીકે જાણીતો હતો.પણ હવે ધરમપુરની જાણે સિકલ જ બદલાઈ રહી છે.આજથી ૨૦-૨૨ વર્ષ પહેલાં અહીં શ્રીમદ રાજચંદ્ર આશ્રમની સ્થાપના પછી વિકાસમાં ઘણો ફેરફાર છે. શ્રીમદ રાજચંદ્ર એટલે સામાન્ય લોકો માટે મહાત્મા ગાંધીના માર્ગદર્શક. શ્રીમદ રાજચંદ્ર સેન્ટર, ધરમપુરના અધિષ્ઠાતા રાકેશભાઈએ અહીં એમની વૈચારીક તાકાત અને આધ્યાત્મિક -શક્તિ થકી અભૂતપૂર્વ તીર્થસ્થાનનું નિર્માણ કર્યું છે. શ્રીમદ રાજચંદ્રના દેશ દુનિયામાં વસતા મુમુક્ષુઓ માટે તો આ સ્થળ શ્રદ્ધા અને વિશ્વાસનું તીર્થસ્થાન બન્યું છે. સાથે સાથે અન્ય ધર્મ-પંથના લોકો ખાસ કરીને અજૈનો અહીં મુલાકાતી તરીકે સતત આવે છે. ભક્તો રાકેશભાઈ ને સાહેબ શ્રી અથવા બાપજી કહીને બોલાવે છે.ધરમપુરની મુલાકાત દરમિયાન ઘણા વર્ષ પછી પૂજ્ય રાકેશભાઈને મળવાનું… એમના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત કરવાની તક મળી.એ જ પ્રમાણે રુદ્રાક્ષના શિવલિંગ બનાવવા માટે જાણીતા થયેલા આદરણીય બટુકભાઈ વ્યાસને મળીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એમણે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં શિવકથા કરી.
એ જ દિવસે બપોરે દેશ-વિદેશમાં ખૂબ સન્માન્ય કથાકાર એવા ધરમપુરવાસી પૂજ્ય શરદભાઈ વ્યાસના યુવાન કથાકાર પુત્ર આશિષભાઈ વ્યાસને એમના નિવાસ્થાને મળીને શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તાજેતરમાં પૂજ્ય મોરારીબાપુએ એમની તલગાજરડાની વ્યાસપીઠ પર આશિષભાઈને કથા કરવા માટે સેવાની તક આપી અને આદરણીય મોરારીબાપુએ શ્રોતા તરીકે બેસીને કથાનુ રસપાન કર્યું હતું. આશિષભાઈ માટે તો આ પ્રસંગ જીવનભરનુ સંભારણું – ભાથુ સમાન બની ગયો.
મારા માટે આધ્યાત્મિક જગતના વંદનીય સંતોને મળી આ ધરમપુરની મુલાકાત જાણે તીર્થસ્થળની મુલાકાત સમાન બની રહી..
-દેવાંશુ દેસાઈ

